આસારામ આશ્રમના ગુરુકુળમાં અભ્યાસ કરતાં બાળકોની હત્યાની સત્ય
હકીકતો પ્રકાશમાં લાવવા માટે સીબીઆઇ તપાસની માગ સાથે હજારો વાલીઓએ સ્વયંભૂ મૌન રેલી કાઢી ૧૮મી જુલાઈ-શુક્રવારે અમદાવાદ બંધનું એલાન આપ્યું છે. ૨૦મી જુલાઈએ આશ્રમના ગુરુકુળ સામે મૌનરેલી સ્વરૂપે ધરણાં યોજવાની જાહેરાત જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિએ કરી છે.
સાબરમતી આશ્રમે રેલી પૂણર્ થયા બાદ આરટીઓ સર્કલ પર યોજાયેલી સભામાં મહિલાઓએ આસારામ બાપુનાં ગુરુપૂર્ણિમાનાં બેનરો ફાડી-સળગાવીને રોષ વ્યકત કર્યો હતો, જયારે કેટલીક મહિલાઓએ આ બેનર રોડ ઉપર પાથરીને વાહનચાલકોને તેના ઉપર વાહન ચલાવવા જણાવ્યું હતું.
મહિલાઓએ ‘હાય રે આસારામ, હાય રે ગુંડા હાય-હાય’ સહિતના નારા લગાવીને છાજિયાં લીધાં હતાં. ભવિષ્યમાં કોઈના લાડકવાયાની આ રીતે હત્યા ન થાય તે માટે શહેરના તમામ નાગરિકોને આત્માના અવાજને અનુસરીને શુક્રવારના બંધમાં સ્વયંભૂ જોડાવા અપીલ કરવામાં આવી છે.
અભિષેક અને દીપેશની હત્યાની પોલીસ તપાસથી નાખુશ અને સરકાર તથા શિક્ષણમંત્રીના અકળ મૌન સામે આક્રોશ વ્યકત કરતાં સમિતિના આગેવાનો પ્રકાશ કાપડિયા, નરેશ શાહે શિક્ષણમંત્રી રમણ વોરાના રાજીનામાની માગણી કરી છે. તેમણે શિક્ષણતંત્રના વ્યાપારીકરણ સામે રોષ વ્યકત કરતાં જણાવ્યું કે, આશ્રમવાસીઓ રૂ. ૫૦ હજારની ફી લીધા પછી બાળકોની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે.
ધર્મના નામે પાખંડ ચલાવનારાઓની ધરપકડ કરવાને બદલે પોલીસ રાજકીય, મની અને મસલપાવરના ઇશારે કામ કરી રહી છે, પરંતુ બે માસૂમ બાળકોની હત્યાના સાચા ગુનેગારોને સજા અપાવવા માટે જનઆંદોલન છેડાયું છે.
આ આંદોલન રાજકીય નથી સ્વયંભૂ હોવાથી અટકવાનું નથી. શિક્ષણતંત્રના વ્યાપારીકરણને કારણે પાટણ સહિતની પીટીસી કોલેજોની કલંકિત ઘટનાઓ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. જો સરકાર બાળકોની હત્યા અંગે તાત્કાલિક સીબીઆઇ તપાસ ન સોંપે તો આંદોલનને શેરીઓમાં લઈ જવાનું એલાન રહેવાસીઓએ કર્યું છે.
સભામાં જોડાયેલી મહિલાઓએ સરકાર-આશ્રમના ભેદી મૌન સામે ગુસ્સો ઠાલવતાં જણાવ્યું કે, ચૂંટણીમાં પ્રજાનું રક્ષણ કરવાનું વચન આપનારી સરકારે મત માગ્યા તો અમે આપ્યા, પરંતુ હવે જયારે શોષિત મા-બાપ ન્યાય માગી રહ્યાં છે ત્યારે સરકાર ચૂપ છે. આ આશ્રમ છે કે કસાઈખાનું?
સરકાર હજુ કેટલા લાડકવાયાના બલિ ચઢાવવા માગે છે? તેમણે ચીમકી ઉરચારી છે કે, અત્યાર સુધી વાલીઓએ શાંતિપૂણર્ રીતે ન્યાય માગવાનો પ્રયાસ કર્યોછે, પરંતુ હવે સહનશકિતની હદ આવી ગઈ છે. જો નરાધમો સામે કડક પગલાં લેવામાં નહિ આવે તો આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.
હત્યા પોતાના દીકરાની થઈ છે તેવી ભાવનાથી જોડાવા અપીલ
આરટીઓ સર્કલ પર યોજાયેલી સભામાં એક વકતાએ આસારામ ‘બાપુ’નો શબ્દપ્રયોગ કરતાં મહિલાઓ ભડકી હતી અને બાપુ નહિ…બાપુ નહિ…ની બૂમો પાડી બોલતા અટકાવ્યા હતા. સામે વકતાએ પણ કાન પકડીને ભૂલ સ્વીકારી હતી.
અશોક જૈન નામના વકતાએ કહ્યું કે, ૧૯૭૪માં ટંકશાળની પોળમાં સ્પિરિટ-દારૂ વેચનારી વ્યકિત આબુ જઈને મેલીવિધાનો સંત બની ગયો છે. ૧૯૭૫માં સોરાબજી કમ્પાઉન્ડમાં બહેનોએ ચપ્પલથી મારી મારીને જેને અધમૂઓ કરી દીધો હતો એવી ચારિત્ર્યહીન વ્યકિત આજે તંત્ર, મંત્રના પ્રભાવથી રાજય અને દેશમાં ધર્મગુરુ બની બેઠો છે.
આ આંદોલન ન્યાયની લડત છે અને આ લડતના કોઈ નેતા નથી, છતાં બધા જ જોડાયેલા લોકો નેતા છે. પ્રજા ન્યાય માટે ભીખ માગી રહી છે. બંધના એલાનમાં જોડાવા માટે અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, આ હત્યા કોઈના દીકરાની થઈ છે તેવું માનીને નહિ પણ ‘પોતાના’ દીકરાની જ થઈ છે તેવી ભાવનાથી લોકો સ્વયંભૂ જોડાશે તો તંત્રને જનઆક્રોશ સામે ઝૂકવાની ફરજ પડશે.
ભૂતકાળમાં જનઆક્રોશે અનેક સરકારોને ઉથલાવી નાખી છે. ગુનેગારોને છાવરનારા કેટલાયે પોલીસ અધિકારીઓ અત્યારે જેલના સળિયા ગણી રહ્યા છે એ ભૂલવું જોઈએ નહિ. ગુજરાત મર્ચન્ટ એસોસિયેશન અને નાગરિક સેવા સમિતિએ લડતને ટેકો જાહેર કર્યોછે. અખબારી કચેરી પરના હુમલાને પણ આગેવાનોએ વખોડયો હતો.
Source by Divyabhasker
Thanks You Divyabhasker.co.in
News Owner: www.divyabhaskar.co.in
Indian Rupee Converter

ehh.. luv this thread.